Bhai Bij, Bhai Duj - Story of YumRaj and Yamunaji

4.29 stars - 286 reviews

શ્રીયમુનાજી જેમ કૃપાનિધિ કહેવાય છે તેમ પરમકૃપાળુ પણ કહેવાય છે. બ્રહ્મવૈવર્તક પુરાણમાં કથા છે કે યમુનાજી વારંવાર પોતાના ભાઈ શ્રી યમરાજને મળવા જાય, પરંતુ તેઓ જ્યારે ભાઈના ઘર પાસેથી પસાર થતાં ત્યારે તેમની નજર યમપુરી પર પડતી. ભાઈના ગૃહ પાસે પડતી આ યમપુરીમાંથી આવતા જીવોના ચિત્કારો અને પીડાત્મકભર્યા આર્તનાદ યમુનાજીનાં કોમળ મનને પણ ઘાવ આપી જતા હતા. તેમનું મન અને હૃદય અતિ દ્રવિત થઈ જતું હતું, આથી હંમેશાં યમુનાજી પોતાના મોટાભાઈને વિનંતી કરતાં કે વીરા આ જીવોને યમપુરીની પીડામાંથી મુક્ત કરો, પરંતુ હંમેશની જેમ યમરાજ હસીને વાત ફેરવી નાખતા. યમુનાજી હંમેશાં વિચારતાં રહેતાં કે યમપુરીમાં રહેલા આ જીવોને કેવી રીતે બચાવવા? પરંતુ તેઓને ક્યારેય કોઈ ઉપાય ન મળતો. યમુનાજીને પોતાના આ વડીલ વીરા ખૂબ વહાલા હતા, તેથી તેઓ વારંવાર ધર્મરાજ યમદેવને પોતાને ગૃહે ભોજન લેવા અર્થે બોલાવતા, પરંતુ યમરાજ તો આખા વર્ષ દરમિયાન કામમગ્ન હોઈ પોતાની પ્રિય ભગિનીનાં ગૃહે ન જઈ શકતા. આથી એક વાર યમુનાજી ભાઈને ઘેર ગયાં અને ભાઈને વિનંતી કરી કે ભ્રાતા આજે કાર્તિકી એકમ છે, આવતી કાલે આપ મારે ત્યાં પરિવાર સાથે જમવા પધારો. એમ બોલતાં બોલતાં યમુનાજીની આંખો ભરાઈ આવી. પોતાની નાની બહેનની આંખો છલકાઈ આવેલી જોઈ યમરાજાએ પોતાની બહેનને વચન આપ્યું કે આવતીકાલે કાર્તિકી સુદ બીજના દિવસે તેઓ ચોક્કસ બહેનને ત્યાં જમવા પધારશે. બીજે દિવસે યમરાજા પોતાનું વચન પાળવા માટે પોતાના પરિવાર સાથે બહેનને ત્યાં આવી પહોંચ્યાં. અત્યંત આનંદિત થઈ બહેને ભાઈનું સ્વાગત કર્યું. ભાઈના લલાટે કુમકુમ તિલક કર્યું, બહેનને પ્રસન્ન થયેલી જોઈ યમરાજા પણ અત્યંત આનંદિત થઈ ગયા. બહેને ભાઈને ચાંદીનાં પાત્રોમાં ભોજન કરાવ્યું. ભોજન બાદ પસલીમાં યમરાજાએ બહેનને રંગબેરંગી વસ્ત્રો, રત્નજડિત અલંકારો આપ્યાં અને કહ્યું કે બહેન આ બધું તો મેં મારી ઇચ્છા મુજબ આપ્યું છે, પરંતુ તારી ઇચ્છા મુજબ તું મારી પાસે કંઈક માગ. ત્યારે પ્રથમ તો યમુનાજીએ ના કહી, પરંતુ વડીલ બંધુના વારંવાર આગ્રહથી અને ભાઈનું માન રાખવા યમુનાજીએ માંગ્યું કે ભાઈ આપ મને કંઈક આપવા જ ઇચ્છતા હોય તો હું ફક્ત એક જ વરદાન માંગું છું, આપ કૃપા કરીને આપની યમપુરીમાં પીડાઈ રહેલા જીવોને મુક્ત કરો. ત્યારે યમરાજા કહે, બહેની મારું કાર્ય છે કે જીવોને તેમનાં કર્મ મુજબ હું તેમને દંડ આપું, પરંતુ તેં મારી પાસેથી વચન માંગ્યું છે તો હું પણ તને વચન આપું છું કે આપણાં ભાઈ-બહેનનાં પ્રતીકરૂપે આજના દિવસે જે જીવ તારા જળમાં સ્નાન કરશે અને તારા જળરૂપી અમૃતનું પાન કરશે તેને યમ અને યમપુરીનો ભય નહીં રહે. ઉપરાંત આ ફક્ત આજના દિવસની વાત નથી યમુને, જે કોઈ જીવ તારા શરણે આવીને નિત્ય તારું સ્મરણ કરશે તેને હું સૂર્યપુત્ર યમ કદીએ યમહસ્ત લગાવીશ નહીં. યમરાજાના વરદાન મુજબ જોઈએ તો યમુનાજીને માનનારા બધા જ જીવો યમુનાજીનાં બાળ છે અને યમરાજા પોતાની બહેનનાં બાળકોને દંડ કેવી રીતે આપે? કારતક સુદ બીજનો આ દિવસ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહને વ્યક્ત કરે છે. આ પર્વને ભાઈબીજ અથવા યમદ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર દિવસે જે મનુષ્યો યમુનાજીમાં સ્નાન કરી યમુનાજી અને યમદેવનું પૂજન કરે છે, તેઓ આત્યંતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક કલ્યાણના, વૈકુંઠના અને ગોલોક ધામના અધિકારી બનતાં તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તો આ દિવસે શ્રી યમુનાજીનું નામ, સ્મરણ કરનાર અને યમુનાજીનાં જળમાં સ્નાન કરનારને યમુનાજીએ પોતાના વડીલ વીરા યમ, યમપુરી, યમપાશ અને યમદંડના ભયમાંથી મુક્ત કરી, પોતાના ભાઈના ભવનને શૂન્ય કરી, જીવોને અભયપદ-દાન આપ્યું છે. તેથી આ દિવસે બહેન ભાઈને પોતાને ત્યાં જમવા બોલાવે છે અને ભાઈ બહેનને ભેટ આપે.

Post/View Comment